For the best experience, open
https://m.eaglenews.in
on your mobile browser.

કોઈ પણ અપરાધીને બક્ષવામાં નહીં આવે: પીએમ

11:57 PM Jul 22, 2023 IST | eagle
કોઈ પણ અપરાધીને બક્ષવામાં નહીં આવે  પીએમ

વંશીય હિંસામાં સળગી રહેલા મણિપુરની સ્થિતિને લઈને વિપક્ષો સતત વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી જવાબો માગતા રહ્યા હતા. આખરે વડા પ્રધાને એક શરમજનક ઘટના બાદ ગઈ કાલે મૌન તોડ્યું હતું. મણિપુરમાં બે મહિલાની નગ્ન અવસ્થામાં કરવામાં આવેલી પરેડનો ચોંકાવનારો વિડિયો વાઇરલ થયા બાદ તેમણે રીઍક્શન આપી હતી.
સંસદના મૉન્સૂન સેશનની શરૂઆત પહેલાં વડા પ્રધાને કહ્યું હતું કે ‘આજે હું લોકશાહીના મંદિરની પાસે ઊભો છું ત્યારે મારું હૃદય પીડાથી ભરેલું છે, ક્રોધથી ભરેલું છે. મણિપુરની જે ઘટના સામે આવી છે એ કોઈ પણ સભ્ય સમાજ માટે શરમજનક ઘટના છે. પાપ કરનારા, નફરત કરનારા, કેટલા છે, કોણ છે, એ એમની જગ્યાએ છે. જોકે એનાથી સમગ્ર દેશની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચી રહ્યું છે. ૧૪૦ કરોડ ભારતીયોએ શરમજનક સ્થિતિમાં મુકાવું પડ્યું છે. હું તમામ મુખ્ય પ્રધાનોને આગ્રહ કરું છું કે તેઓ પોતાનાં રાજ્યમાં કાયદા-વ્યવસ્થાને વધારે મજબૂત કરે, ખાસ કરીને પોતાની માતાઓ અને બહેનોની સુરક્ષા માટે મુશ્કેલમાં મુશ્કેલ પગલાં લે. ઘટના રાજસ્થાનની હોય કે છત્તીસગઢની હોય કે મણિપુરની હોય, હિન્દુસ્તાનના કોઈ પણ ખૂણામાં કોઈ પણ રાજ્ય સરકારમાં પૉલિટિક્સથી પર થઈને કાયદો-વ્યવસ્થાનું પાલન, નારીનું સન્માન થાય. હું દેશના લોકોને વિશ્વાસ અપાવું છું કે કોઈ પણ અપરાધીને બક્ષવામાં નહીં આવે. કાયદો પોતાની પૂરેપૂરી તાકાતથી એક પછી એક પગલાં લેશે. મણિપુરની આ દીકરીઓની સાથે જે થયું છે એ ક્યારેય માફ કરવામાં નહીં આવે.’

Advertisement
Tags :